આશરો આહીર નો


રામ કોઠીવાળની ત્રીજી પેઢીએ ભક્તિભાવ ધરાવતા લાખો કોઠીવાળ થયા હતા. રામ કોઠીવાળના ખાનદાની ખોરડાની ઉજળી પરંપરા તેના વંશજોએ જાળવી રાખતા લાખો કોઠીવાળ મજોકાંઠામાં ખૂબ આદર ધરાવતા હતા. જોકે લાખો કોઠીવાળ એક ન સમજાય તેવી મુંઝવણ હંમેશા અનુભવતા હતા.

એક દિવસ સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી શ્રીસહજાનંદજીના ગુરૂ બ્રહ્મજ્ઞાની સ્વામી શ્રીરામાનંદજી મોટા ભેલા પધારતા લાખા કોઠીવાળે પોતાના મનની પીડા તેમની સમક્ષ રજુ કરી હતી. રામાનંદ સ્વામીજીએ વાત સાંભળી આંખો બંધ કરી લાખા કોઠીવાળની મનની મુંઝવણનું રહસ્ય જાણી લેતા દારા શિકોહ થાપણ તેના ઘરમાં દાટેલી હોવાની માંડીને વાત કરી હતી.
પોતાના પૂર્વજોને ત્યાં દારા શિકોહે મૂકેલ થાપણનો કેવી રીતે નિકાલ કરવો ? તેવી લાખા કોઠીવાળે રામાનંદ સ્વામીજીને વિનંતી કરી કહ્યું,
‘સ્વામીજી, પારકાના ધનનો પડછાંયો સુખ-શાંતિ હરનારા હોઈ આનો કંઈક મારગ બતાવો ?’ ’લાખા, ઈસ ધન કા કોઈ માલીક નહીં હૈ, આપ અપને લીએ ઈસ્તમાલ કર સકતે હો !’
’ના, ઈ’ ન બને બાપજી ! મારા વડવાઓએ જે ધન થાપણ તરીકે સાચવેલ હોય ઈ’ મારા માટે તો હરામ બરાબર છે.’
લાખા કોઠીવાળની મકકમતા જોઈ રાજી થયેલ સ્વામી શ્રીરામાનંદજીએ બે નબળા વર્ષો પછી પડનાર કારમા દુકાળના એંધાણ આપી વિદાય લીધી હતી. સ્વામી શ્રીરામાનંદજીની વાત પર અતૂટ શ્રદ્ધા ધરાવતા લાખા કોઠીવાળે પારકાનું ધન પરમાર્થમાં વાપરવાનો મનમાં નિર્ણય કરી અગમચેતી રૂપે લાખા કોઠીવાળે ઘરમાં દાટેલો દારા શિકોહનો ખજાનો શોધી અનાજ અને ઘાસ ખરીદવાનું શરૂ કરતા મોટા ભેલામાં અનાજ અને ઘાસના ભંડારો ખડક્યા હતા.

સ્વામી શ્રીરામાનંદજીની અગમવાણી સાચી પડતા સંવત 1772 અને 1773ના ચોમાસા નબળા જતા જેમ તેમ કરી પોતાનો ગુજારો કર્યો હતો, પરંતુ બે નબળા વર્ષો પછી સંવત 1774 (ઇ.સ. 1718)માં ચોમાસા દરમ્યાન વરસાદનો છાંટોય ન પડતા કારમો દુષ્કાળ પડ્યો હતો. આગળના બે વર્ષ દરમ્યાન નહીવત વરસાદના કારણે અનાજ-ઘાસની તંગીના કારણે લોકોની હાડમારી વધી હતી. ત્યાં ત્રીજા વર્ષે આકાશ સામે મીટ માંડી બેઠેલા લોકો ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ ચોમાસુ ખાલીખમ જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. નદી-નાળા અને તળાવો સુકાઈ ગયા હતા, તો કુવાઓના પાણી પાતાળમાં ઉતરી ગયા હતા.

‘મિરાતે અહમદી’ના લેખક મુહમ્મદખાન અહમદ પોતાના પુસ્તકમાં લખે છે કે આ કારમા દુકાળમાં એક રૂપિયે ચાર શેર બાજરી માટે મા-બાપ પોતાના વહાલછોયા સંતાનોને એક બે રૂપિયામાં વેચતા હોય જાણે માનવતા મરી પરવારી હતી. ગુજરાતના પાટણવાડામાં પાણીની કારમી અછત થતા લોકો માળવા તરફ હિજરત કરી ગયા હતા, તો માણસો અને જાનવરો ચારેબાજુ ભુખે ટળવળતા તરફડી મરી રહ્યા હતા. આ કપરા દુકાળમાં અપુરતા પોષણના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાના કારણે લોકો અને જાનવર જીંવાતની જેમ ટપોટપ મરી રહ્યા હતા. ગુજરાતના મોગલ સુબેદાર હૈદર કુલીખાન અને જુનાગઢના દિવાન રઘુનાથદાસે ચુમ્મોતેરિયા દુકાળમાં લોકોની હાડમારી ઘટાડવા કોશીશ કરતા અનાજ- ઘાસની સંગ્રહખોરી અટકાવવા પ્રતિબંધ મુકયા હતા, જોકે અનાજના દાણા માટે વલખા મારતા સામાન્ય માણસ માટે દુકાળના દિવસો કાઢવા દોહ્યલા થઈ ગયા હતા.

ચુમ્મોતેરિયા દુષ્કાળનો વિકરાળ પંજો ચારેબાજુ ફેલાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો, ત્યારે મજોકાંઠાના મોટા ભેલામાં લાખા કોઠીવાળે સ્વામી શ્રીરામાનંદજીના આશીર્વાદથી લાપસીના આંધણ મુકી સદાવ્રત શરૂ કરતા ભેલામાં વખાના માર્યા માણસો ઉમટતા માનવ મહેરામણ ભેગો થયો હતો. લાખા કોઠીવાળે માણસો ઉપરાંત મુંગા પશુઓ માટે નિરણ પાણીની વ્યવસ્થા કરતા લોકો પોતાના ઢોરઢાંખર લાખા કોઠીવાળના આશરે મૂકી જતા હતા.

ચુમ્મોતેરિયા દુષ્કાળના કપરા દિવસો પાર પાડવા પોતાના પૂર્વજો પાસે થાપણ તરીકે મૂકેલ દારા શિકોહનો અમુલખ ખજાનો ખાલી થતા પરમાર્થના આ કાર્યમાં લાખા કોઠીવાળે પોતાના પૂર્વજો સાથે પોતે કમાયેલ ધન પણ વાપરી નાંખતા આખા મલકમાં તેની વાહ વાહ થવા લાગી હતી.

લાખા કોઠીવાળના લાપસીના સદાવ્રત સાથે પશુઓના ઘાસચારાની વાતો રાજા-રજવાડાઓ સુધી પહોંચી હતી. પોતાના તાબાના મોટા ભેલા ગામના લાખા કોઠીવાળની નિસ્વાર્થ સેવાની સુવાસ મોરબીના રાજા કાંયોજી સુધી પહોંચી હતી. લાખા કોઠીવાળની આ ઉમદા કાર્યથી રાજી થયેલા મોરબીના રાજા ચૂપચાપ પોતાના પ્રજાજનને મળવા મોટા ભેલા આવ્યા હતા. લાખા કોઠીવાળની દાતારી નજરે જોઈ રાજા કાંયોજીએ બથ ભરી બિરદાવતા ત્યાં હાજર બારોટો ગાવા લાગ્યા હતા !

નોધારાનો લાખો આધાર, ભુખ્યાની ભાંગે એ ભૂખ
ઉજળુકુળ આહીર એણે જોયું એમાં પરિયાતણું સુખ.

ભેલામાં લાખો ભલો નિતી ન ચૂકે જરાય
પરધન ધુળ સમાન, એ આપી પોરસાય.

ચુમ્મોતેરિયો ચકડોળે ચડ્યો, માએ છોરૂં મેલિયાં,
ભેલે ભલો દાતાર, લાખોને લાખો જમાડે લાપસી.

જય મુરલીધર જય માતાજી


આશરો આહિર નો - રાજભા ગઢવી



. . .

Comments

Popular posts from this blog

વીર આહીર ભોજા મકવાણા

વીર દેવાયત બોદર