આહીર હરઘોળ સોનારા
ભારત ની ભૂમિ પર આહીરોના ઉજળા ઇતિહાસ છે. એમાં ઝાલાવાડમાં આહીર હરઘોળ સોનારા ની સ્વામી ભક્તિ અને વફાદારી માટે આહીર સમાજનું મસ્તક ઉંચુ રહે છે.
મચ્છુ નદીના સેંજળ પાણી પીયને વીર આહીર હરધોળ સોનારા એ હળવદ ના છત્રસાલજી ઝાલા રાજવીનું જીવના જોખમે રા'ભારા સાથે યુદ્ધમાં રાજવીને બચાવ્યા અને ચારસો વીર આહીરો વેગડવાવની ભૂમિમાં બલિદાન આપીને સાચી સ્વામી ભક્તિ નિભાવી છે એ માટે આહિર કુળ વફાદારી અને સમર્પણ માટે ઉજ્જવળ છે.
જ્યાં જે ભૂમિમાં ઝાલા ગરાસિયાઓએ રાજ કર્યુ એ પ્રદેશ ઝાલાઓ પરથી ઝાલાવાડ તરીકે ઓળખાય છે. ખમીર ખુમારી અમીરાત રાજશાસન શૈલીથી ઝાલાઓ નો ઇતિહાસ સુવર્ણમય છે તે દી' સુરેન્દ્રનગર પ્રાંતના હળવદ રાજના છત્રસાલજી ઝાલા રાજવી છે. આ રાજવીનો સુવર્ણકાળ છે ન્યાય પ્રિય રાજવી ને પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુઃખે દુઃખી છે. ખેડૂતોની જમીન વિકાસ માટે ઘણા સુધારા કર્યા છે. છત્રસાલજી શુરવીરની સાથે દાતાર છે ઝાલાઓ ની શોર્યકથાને કારણે આજે પણ હળવદના સીમાડે અને પાદરમાં પાળિયા, ખાંભીઓ, ડેરીયું, સિંદુર લગાડેલા સતીઓ ના થાપા સફેદ ધજાઓ સાથે ફડાકા મારે છે.
છત્રસાલજીનો સુવર્ણકાળ છે તે ઇર્ષાખોર ખાટ સ્વાદિયાઓ કચ્છ ભુજના રા' ભારાને ચડામણી કરીને હળવદ જીતી અને તિજોરીનો મોટો દલો મળી જાય તો આપણા કચ્છના બખ્ખા થઈ જાય. આથી રા' ભારાએ મોટું સૈન્ય લઈ હળવદ પર ચડાઈ કરી તે ખબર ઝાલા છત્રસાલજી ને મળતાં તેઓ પણ સામે લડાઈ કરવા ગયા. આજ હળવદ ના સીમાડે બે પહાડ ભટકાય એવું દ્રશ્ય ખડું થયું છે. ઝાકાઝીક ઝાકાઝીક સમશેરો ઉડે છે. જે માતાજી જે ભવાની ના નારા ના ઘોષ કરતા એકબીજા ઉપર તૂટી પડે છે. ઠેકી ઠેકી એકબીજા દુશ્મન માથે જનોઈ વાઢ ઘા કરે છે. એમાં છત્રસાલજી પોતાની દેવાંગી ઘોડી ઉપર બેસી તલવાર વીંઝે છે. પણ રા' ના ગુપ્ત વ્યુહમાં
છત્રસાલજી ચારે બાજુથી ઘેરાય જાય છે. ઝાલા રાજવીને અંગરક્ષકોથી જુદા પાડીને ઘેરી લે આ દ્રશ્ય વીર હરઘોળ સોનારા એ જોયું આજ રાજા પર ભીડ પડી છે એટલે હરઘોળ આહીરે પોતાની રોજડી ઘોડીને સના કરી. તે શાનમાં સમજતી બે કાન દોઢે ચડાવ્યું બરાબર હરઘોળે લગામ ખેંચી ને બે પગે ઝાડ થતી પંખીણીની માફક ઉડી રા' ભારાની ફોજમાં નાખી જેમ નદીના બે ભાગ થતાં માર્ગ બને તેમ રા' ના સૈન્યના બે ભાગ થાતાં ઘોડી આગળ હાંકી બાહુબળ વાળા આહીરે જેમ માખણ માંથી મોવાળો કાઢે તેમ છત્રસાલજીને ઉપાડી ઘોડી માથે બેસાડી હરઘોળ આહીર ભાગી નીકળે છે.
આ દ્રશ્ય જોતાં રા' ભારો અચંબામાં પડી જાય છે શુ એ વીર બહાદુરમાં તાકાત છે ક્યારેક દુશ્મન પણ પોતાના હરીફ ની બહાદુરી જોઈને તેની કદર કરે છે
રા' ભારાએ માણસો દોડાવ્યા પણ હરઘોડળ ને પકડવમાં અસમર્થ રહ્યા.
છત્રસાલજીને હળવદના કિલ્લામાં હરઘોળ આહીર હેમખેમ પહોંચાડી ને ખરે ટાણે પોતાના રાજવી ને બચાવી પોતાની રાજભક્તિ નિભાવે છે
ત્યાર પછી હરઘોળ આહીરે વાયુવેગે પાંચસો આહીરોને લાકડીયા તાર રૂપે બોલાવ્યા તે સમયમાં હળવદ વિસ્તારમાં આહીરોની સંખ્યા ઘણી હતી તે બધા વેગડવાવ ગામે જે હાથમાં આવ્યું તે હથિયાર લઈને આવી પુગ્યા. ત્યારે હરઘોળ આહીરે ઝાલારાણા ની ઢાલ બનવાનું આહવાન કર્યુ
હે ભાઈઓ આજે આપણા રાજવી ઉપર સંકટ આવી ચડ્યું છે ભુજના રા' ભારાએ ચડાઈ કરી છે અને આપણે તેને રોકવાનો છે.
બધા એ એકજ અવાજે જય દ્વારકાધીશ નો નાદ કરી હરઘોળ ની વાત ને સમર્થન આપ્યું
ત્યાં તો ધૂળની ડમરી સાથે રા' નું સૈન્ય વેગડવાવ ના સીમાડે આવી ચડ્યું. આ બાજુ વીર આહીર હરઘોળ સોનારા ની આગેવાની હેઠળ નવ યુવાનો આહીર અને બીજા કાટીયા વરણના નવ યુવાનો વછૂટ્યા.
ભારે ભયંકર યુદ્ધ જામ્યું એકબીજા સામ સામે મરતાં લોહીની નિકો હાલી જાય છે અંતે રા' ભારાએ આહીર હરઘોળ સોનારા અને બીજા યુવાનો ની મર્દાનગી જોતા આહીરો અને પોતાના સૈન્યનું બલિદાન જોતાં યુદ્ધ સ્થગિત કરે છે
આ યુદ્ધમાં વીર આહીર હરઘોળ સોનારા સાથે બીજા અનેક યુવાનો કામ આવ્યા
છત્રસાલજી ને ખબર પડે છે કે રાજને બચાવવા હરઘોળ સોનારા સાથે અનેક આહીરો કામ આવ્યા ત્યારે તે ભારે શોક વ્યક્ત કરે છે
પ્રાણના ભોગે પણ રાજની આબરૂ બચાવી તેથી આહીરોના ગામનો ભોગવટો કરતા લેખ લખી તેમના વંશજો ને સુપ્રત કર્યા હતા
શત શત નમન શૂરવીરો ને જય મુરલીધર જય માતાજી
.
Comments
Post a Comment